આજનો e-Shabda…રોજે રોજનું નવું ઇ-વાચન... ઈ-શબ્દ ઉપલબ્ધ કરાવે છે એક સાથે, એક સ્થળે અનેક પ્રકાશકોની, અનેક લેખકોની ગુજરાતી ઈ-બુક્સ... આજનો ઈ-શબ્દ પર વાંચો હરહંમેશ નવું ગુજરાતી વાચન... સાથે અમૂલ્ય ફોટોગ્રાફ્સ, ઑડિયો ક્લિપ્સ, વિડીયો પણ...
  • Home
  • Explore Books
  • Authors
  • About Us
  • Contact Us
ebook-eshabda

વિદાયગીતના સર્જનની વાત – અંકિત ત્રિવેદી

On September 8, 2014 by Admin

બેના રે..

સાસરીયે જાતાં જોજો પાંપણ ના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય

દીકરી ને ગાયદોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય.

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે,
રમતી’તી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે.

બેના રે..

વિદાયની આ વસમી વેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય.

તારા પતિનો પડછાયો થઈરહેજે સદાયે સાથે,
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે.

બેના રે..

તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ’ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી

બેના રે..

રામ કરે સુખ તારું કોઈથી નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

ગીત : અવિનાશ વ્યાસ | સ્વરકાર : ગૌરાંગ વ્યાસ


 

Parki-Thapanગુજરાતી ફિલ્મનું આ ગીત સંગીતની મહેફિલોની આગવી ઓળખ બની ચૂક્યું છે. આ ગીત ફિલ્મ ‘પારકી થાપણ’-માટે અવિનાશ વ્યાસે લખેલું. જેના સંગીતકાર ગૌરાંગ વ્યાસ છે. અરુણ ભટ્ટ અને ગૌરાંગ વ્યાસ તથા અવિનાશ વ્યાસની ત્રિપુટીએ ગુજરાતી ફિલ્મોમાં ઇતિહાસ સર્જ્યો છે. ફિલ્મ પારકી થાપણનું આ ગીત જ્યારે થિયેટરમાં સ્ક્રીન ઉપર આવતું ત્યારે લોકો સિક્કાઓને વરસાદ વરસાવતા. સાતત્ય એ ગૌરાંગ વ્યાસનું આગવું અને આત્મીય વલણ છે. કન્યાવિદાયના આ ગીતના ભાવવિશ્વમાં દરેક માણસને હ્રદયમાં ડૂમો બાઝ્યા વિના રહેતો જ નથી.

આ ગીત બનતી વખતે રસપ્રદ અનુભવોમાંથી પસાર થયું છે. ‘પારકી થાપણ’ ફિલ્મનું ટાઇટલ સોંગ કરવાનું અને વળી લોકોને ગમે એવું કરવાનું અને વળી લખાય અને રેકોર્ડિંગ થાય પછી શૂટિંગ કરવાનું. ‘પારકી થાપણ’ – આ શબ્દો છેલ્લે રાખીએ તો એના પ્રાસમાં શબ્દો ગાઈ શકાય. એ યાદગાર રહી જાય એવા ના પણ બને! પણ, અવિનાશ વ્યાસની સર્જકતાએ એમની સ્વર સજ્જતાએ કવિતામાં પ્રાણ પૂર્યો અને “દીકરી તો પારકી થાપણ કહેવાય” એવી પંક્તિઓ લખી. ‘કહેવાય’-ના પ્રાસમાં-કાફિયામાં ગીતને આગળ વધાર્યું અવિનાશ વ્યાસે. અરુણ ભટ્ટની સામે જ પ્રથમ સીટિંગમાં જ ગીતનું મુખડું અને એક અંતરો લખાઈ ગયા!

સાથે સાથે અવિનાશ વ્યાસ ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’-ની કહેવત પણ ગીતમાં સાચવે છે. આનાથી મોટી બીજી કઈ વાત હોય! આખા ગીતમાં દીકરીને હસતાં મોઢે વિદાય કરવાની વેળાને શબ્દમય બનાવી છે અને રડી ન પડાય તો સંવેદનાના તંતુઓ જીવનમાંથી સૂકાઈ ગયા હોય એવું લાગે છે!

આ ગીત પહેલાં નક્કી થયા મુજબ અલકા યાજ્ઞિકે ગાવાનું હતું. પણ અરુણ ભટ્ટે કહ્યું : “આ ગીત તો લતાજીના કંઠે જ શોભે એવું બન્યું છે.” ત્રણ દીવસ પછીનો સ્ટુડિયો બુક હતો! અને લતાજી ત્રણ દિવસ પછીનો તરતનો સમય આપે એવું અસંભવ હતું! ગૌરાંગભાઈ સાંજે લતાજીના ઘરે એમને મળવા જાય છે. કન્યાવિદાયના ગીતની અને ફિલ્મની સિચ્યુએશનની વાત કરે છે. લતાજીને વિનંતી કરે છે કે ત્રણ દિવસ પછીનો સ્ટુડિયો બુક થયો છે. ટૂંક સમયની નોટિસમાં આ ગીત ગાવું પડે એમ છે. લતાજીએ ગીત ગાવાની મંજૂરી આપી અને પોતે ત્રીજા દિવસે સ્ટુડિયોમાં હાજર રહેશે એમ કહ્યું. વળી સાંજનો સમય લતાજીએ આપ્યો. લતાજીએ ‘હા’ પાડી એ વાત મજાની હતી. સ્ટુડિયોના રેકોર્ડિંગ આર્ટિસ્ટે ગૌરાંગ વ્યાસને કહ્યું કે જુઓ લતાજી ક્યારેય સાંજે ગીત ગાતાં જ નથી! વાત સાચી પણ હતી કે લતાજીએ  ક્યારેય સાંજે ગીત ગાયું નથી!

ગૌરાંગ વ્યાસ રોકોર્ડિંગના દિવસે સવારે લતાજીના ઘરે પહોંચી ગયા! લતાજી મરાઠી પત્રકારને મુલાકાત આપતાં હતાં. મુલાકાતમાં એમણે પત્રકારને કહ્યું કે આજે તેઓ ખૈયામ સાહેબના ગીતનું રેકોર્ડિંગ કરવા જવાના હતાં પણ તેમનું ગળું ખરાબ છે તો ગુજરાતી ગીત પણ નહીં ગાય! જે ખૈયામ સાહેબનું રેકોર્ડિંગ બંધ કરવી શકે એ ગૌરાંગ વ્યાસનું ગીત ગાવા થોડા આવે? પત્રકાર મુલાકાત લઈને નીકળે છે પછી લતાજી ગૌરાંગ વ્યાસને પૂછે છે કે ‘સાંજે કેટલા વાગ્યાનું રેકોર્ડિંગ છે?’ ગૌરાંગભાઈ લતાજીને કહે છે કે “તમે તો પેલા પત્રકારને કહ્યું કે ગળું ખરાબ છે અને રેકોર્ડિંગમાં નથી જવાની.” લતાજીએ કહ્યું કે “ગૌરાંગ, વાત સાચી છે. જો હું ખૈયામ સાહેબના રેકોર્ડિંગમાં જાઉં તો પછી મારાથી તારું ગીત આજે ના ગાઈ શકાત, અને મારે ગુજરાતી ગીત ગાવું છે માટે મેં ગળું ખરાબ છે એમ કહ્યું.” બન્યું એવું કે સાંજે લતાજી આવ્યાં અને ફિલ્મ પારકી થાપણનું ગીત પણ ગાયું. . . સાંજે ગીત નથી ગાતાં-એ વાત પણ ખોટી પડી અને ગીત પોતે જાજરમાન ઇતિહાસ સાચવીને ફિલ્મસંગીતનું ગૌરવ પણ વધારે છે.

અંકિત ત્રિવેદી

Tags: Ankit Trivedi, Avinash Vyas, Gaurang Vyas, Lata Mangeshkar, Vidaygeet, Vidaygit, અંકિત ત્રિવેદી, અવિનાશ વ્યાસ, ગૌરાંગ વ્યાસ, પારકી થાપણ, વિદાયગીતના સર્જનની વાત

4 comments

  • Neela Lakhani Varma September 8, 2014 at 1:01 pm - Reply

    Lataji no Gujarati geet mate no bhav bhinjvi gayo. Triputi ni kamal to najare anubhavi 6 film release thai e samye ne aaje pan dikrivalavava na samye. Adbhut……

  • hemant jani September 8, 2014 at 3:51 pm - Reply

    I like Gujarati song

  • Urmila Patel September 8, 2014 at 8:36 pm - Reply

    Kanyaviday na geet ni mahiti khub saras chhe, aavi j mahiti apata raheva vinanti.Pan lilu jou geet ane mahiti apva vinanti.

  • vivek Desai September 9, 2014 at 6:20 am - Reply

    આવી જુદા જુદા ક્ષેત્ર ની અજાણી વાતો જાણવાનો મોકો મળે તો જલસો પડી જાય ..અંકીતભાઈ એ શરૂઆત કરી છે .. અભિનંદન ..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ‘મધર ઇન્ડિયા’ : નાટ્યાત્મક અંતની સર્જનકથા – ઉર્વીશ કોઠારી
  • અપરિહાર્ય અને અનિવાર્ય મૃત્યુના દુહા—બળવંત જાની
  • E-Shabda Gujarati App
  • મારું સુખ—કાજલ ઓઝા વૈદ્ય
  • દરિયા ઉપરથી – ‘છેલ્લો કટોરો’ — મહાદેવ દેસાઈ

Recent Comments

  • રાહુલ on વાત યાદ આવે… —કાજલ ઓઝા વૈદ્ય
  • Palak on વાત યાદ આવે… —કાજલ ઓઝા વૈદ્ય
  • Jishnu Panchal on અશ્વિન મહેતા… ગમતા ‘ડોસલા’ની વિદાય ટાણે…
  • www.yantraidol.com on અશ્વિન મહેતા… ગમતા ‘ડોસલા’ની વિદાય ટાણે…
  • હરીશ દવે on શબ્દથી ઇ-શબ્દ સુધી – અપૂર્વ આશર

Categories

© 2017 e-Shabda. All Rights Reserved.