આજનો e-Shabda…રોજે રોજનું નવું ઇ-વાચન... ઈ-શબ્દ ઉપલબ્ધ કરાવે છે એક સાથે, એક સ્થળે અનેક પ્રકાશકોની, અનેક લેખકોની ગુજરાતી ઈ-બુક્સ... આજનો ઈ-શબ્દ પર વાંચો હરહંમેશ નવું ગુજરાતી વાચન... સાથે અમૂલ્ય ફોટોગ્રાફ્સ, ઑડિયો ક્લિપ્સ, વિડીયો પણ...
  • Home
  • Explore Books
  • Authors
  • About Us
  • Contact Us
ebook-eshabda

હું મૃત્યુને ઓળખું છું —કાજલ ઓઝા વૈદ્ય

On September 29, 2014 by Admin

મોટા ભાગના લોકો મરતા પહેલાં જ મરી જાય છે. રોગ હોય કે ના હોય, મનથી મરી જનારાઓની સંખ્યા આપણા સમાજમાં જીવતા માણસો કરતા વધુ છે. ખલિલ જિબ્રાને `ધ પ્રોફેટ’ના અંતે લખ્યું છે, “અ લીટલ વ્હાઇલ, એ મોમેન્ટ ઑફ રેસ્ટ અપોન ધ વિન્ડ ઍન્ડ અનધર વુમન શેલ બૅર મી — થોડા સમય પછી હવામાં ઝૂલતા રહેવાની એક ક્ષણ, અને હું અન્ય સ્ત્રીનો ગર્ભ બની જઈશ!”

Kaaja Oza Vaidya

Kaajal Oza Vaidya

“ઈશ્વર પણ પઝેસીવ છે… એને પણ જ્યારે પ્રેમ થાય છે ત્યારે તમારી આસપાસના તમામ આધારો છીનવીને તમે ફક્ત એને પ્રેમ કરો એવી સ્થિતિ ઊભી કરે છે!” મારા એક મિત્રએ કહું ત્યારે મારી આંખમાં પાણી આવી ગયાં.

ઘણા વખતથી ગળામાં ડૂમો ભરાયેલો હતો. રડવાની તીવ્ર જરૂરિયાત હતી, પણ રડી શકી નહોતી…

4 જૂન, 2010. સવારે મારા પિતાને ત્યાં પહોંચી ત્યારે મારી માએ ચીડાઈને ફરિયાદ કરી, “જોને… કેટલા દિવસથી ખાતા જ નથી. ખાવાનું કહીએ તો ચીડિયા કરે છે.”

હું પણ છેલ્લા થોડા દિવસથી આ નોટિસ કરી રહી હતી. ફક્ત બે મહિનામાં જ એમનો આઠેક કિલો વજન ઊતરી ગયું હતું. ચિંતા તો થાય, પણ એમના સ્વભાવને કારણે કોઈ એમને કશું કહે નહીં, પણ તે દિવસે મેં એમનો ગુસ્સો વહોરવાનું નક્કી કર્યું લગભગ જબરદસ્તી એમને મારા મિત્ર ડૉ. વિક્રમ શાહને ત્યાં સોનોગ્રાફી માટે લઈ ગઈ.

હજી તો એમના પેટ ઉપર એણે `પ્રોબ’ મૂક્યું અને મારી સામે વિસ્ફારિત આંખોથી જે રીતે જોયું એનાથી મને સમજાઈ ગયું કે પરિસ્થિતિ ખરેખર ગંભીર છે… દોઢ વાગ્યે રિપોર્ટ હાથમાં લીધો એ દિવસથી એક મેરેથોન શરૂ થઈ…

પેક્રિયાઝ (સ્વાદુપિંડ)ના કેન્સરથી એમનું લીવર લગભગ ગ્રસ્ત હતું, છાતીની અંદર પણ નાના-મોટા મેટાજેસિક્સ (ગાંઠો) દેખાતા હતા. ડૉ. સંદીપ શાહે એને `ફોર્થ સ્ટેજ’નું કેન્સર કહ્યું.

જિંદગીના ચાર દાયકા દરમિયાન સામાન્ય રીતે આપણે ઘણા બધા લોકોને કેન્સર થયાના સમાચાર સાંભળ્યા જ હોય, એમની ખબર કાઢવા માટે હૉસ્પિટલમાં પણ ગયા જ હોઈએ… મૃત્યુ પણ જોયું જ હોય, પણ જ્યારે સાવ પોતાના — જેના અંશમાંથી આપણે જન્મ્યા છીએ એવી વ્યક્તિને આવો ગંભીર રોગ થાય ત્યારે ખરેખર સમજાય કે `મૃત્યુ’ — સ્વજનનું મૃત્યુ એટલે શું!

`કેન્સર’ એટલે મૃત્યુ જ, એ માન્યતા હવે તદ્દન ખોટી છે. કિમોથેરાપી, રેડીએશન, ઑપરેશન જેવી અનેક તબીબી સારવાર ઉપલબ્ધ છે. કેન્સરમાંથી સાજા થયાના – વર્ષો જીવ્યાના દાખલા આપણી નજર સામે છે. તેમ છતાં આ રોગનું નામ સાંભળતા જ એક અનિશ્ચિતતાની, ભયની કંપારી શરીરમાંથી પસાર થઈ જાય છે. માણસ તરીકે આપણે કેટલા લાચાર અને કેટલા અસહાય છીએ એને વિશે જાતજાતનાં સુફિયાણાં વાક્યો આપણે બોલ્યાં અને લખ્યાં હોય છે, પરંતુ એ અસહાયતાનો, એ પામરતાનો અર્થ ફક્ત ત્યારે જ સાચા અર્થમાં આપણને સમજાય છે, જ્યારે કોઈ સાવ પોતાની વ્યક્તિ મૃત્યુના બંધ દરવાજે ટકોરા મારતી આપણને દેખાય છે.

આ જ પિતા સામે કેટલાય વિરોધો, કેટલાય અણગમા અને કેટલાય ગુસ્સા મારી અંદર છલોછલ ભર્યા હતા. હું જે છું, જ્યાં છું એ માટે ઘણી વાર એમને જવાબદાર ઠેરવવાની લાલચ મને થઈ આવી છે. એમના સ્વભાવ અને સિદ્ધાંત, ઇગો અને અણસમજ જેવી કેટલીય બાબતો વિશે એમની સાથે ઝઘડવાની, એમને મોઢામોઢ સંભળાવી દેવાની ઇચ્છાઓ અચાનક જ મરી પરવારી. એની જગ્યાએ એક કરુણા, વહાલ અને કાળજી મારી અંદર ઊગી નીકળ્યા.

આપણે સૌ આંધળો પાટોની રમત રમીએ છીએ. બંધ આંખે શોધવાની રમત?! બધું છે અને રહેવાનું છે એવી એક ભ્રામક સમજ સાથે. કોઈની આપેલી ભેટ `ખાસ પ્રસંગે’ વાપરવા માટે સાચવી રાખીએ છીએ, આવતી કાલ માટે મોટા મોટા પ્લાન બનાવીએ છીએ. કડવાશો — ધિક્કારોને પંપાળીએ છીએ. જે આજે નથી કરી શકતા એ `ક્યારેક ભવિષ્યમાં’ જરૂર કરીશું એવા જાતને વચન આપીએ છીએ, પાળવાના અહંકાર સાથે!

મહાભારતની એક કથામાં યક્ષ પૂછે છે, “આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય શું છે?” યુધિષ્ઠિર જવાબ આપે છે કે, “જન્મ લેનાર દરેક વ્યક્તિને ખબર છે કે મૃત્યુ નિશ્ચિત છે અને છતાંય એ અમર છે એમ માનીને જીવે છે એ આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય છે.” આપણે દરેક માણસને એના શરીરથી, એના ચહેરાથી ઓળખીએ છીએ. એ ચહેરાને એક નામ છે. એ નામ સાથે આપણો એક સંબંધ છે. એ સંબંધ સાથે જોડાયેલી સ્મૃતિઓ છે અને એ સ્મૃતિઓ સાથે જોડાયેલી લાગણીઓ છે — સુખની અને દુઃખની!

`પવન સૂકવતો નથી, પાણી ભીંજવતું નથી, અગ્નિ બાળતો નથી…’ એવા આત્માને કોઈએ જોયો નથી. એના અસ્તિત્વ વિશે આપણી પાસે કોઈ પ્રમાણ નથી. દેહ આપણા અસ્તિત્વનું પ્રમાણ છે અને જે દેહમાંથી આપણે જન્મ્યા એ દેહ કે પછી આપણા શરીરમાંથી જન્મેલો એક દેહ… એને ખોવાની ઘટના જીવનમાં સાચે જ વિચિત્ર પ્રકારનો ખાલીપો મૂકી જાય છે.

મારા પિતા કેન્સર સાથે લડી રહા છે. કિમોથેરાપીની પીડા સહી રહા છે…જે માણસ સિત્તેર વર્ષે પણ સડસડાટ સીડી ચડી જતો હતો કે અઢાર કલાક કામ કરી શકતો હતો એ માણસને બેડરૂમમાંથી ડ્રોઇંગરૂમ સુધીના દસ ફૂટના અંતરને કાપતા સાત મિનિટ લાગે છે… એનો હાથ ધ્રૂજે છે… દરેક વખતે આવતા બ્લડ રિપોર્ટનું કવર ખોલતા મારા હાથને જોઈને એની આંખોમાં એક વિચિત્ર પ્રકારનો સવાલ ઊઠે છે અને શમી જાય છે.

“મારું દેહદાન કરી દેવું… કોઈ રિચ્યુઅલ્સ — કર્મકાંડ કે વિધિ કરવા નહીં.” આ વાત એમણે કેન્સરનો રિપોર્ટ આવ્યો એની સાથે જ કહી હતી. એમણે પણ પોતાના મૃત્યુને નકારવાનો પ્રયાસ નથી કર્યો, પરંતુ જિંદગી જીવવાની જિજિવિષા એમની આંખમાં હજીયે છલકાય છે… છલકાવી જ જોઈએ.

મોટા ભાગના લોકો મરતા પહેલાં જ મરી જાય છે. રોગ હોય કે ના હોય, મનથી મરી જનારાઓની સંખ્યા આપણા સમાજમાં જીવતા માણસો કરતા વધુ છે. ખલિલ જિબ્રાને `ધ પ્રોફેટ’ના અંતે લખ્યું છે, “અ લીટલ વ્હાઇલ, એ મોમેન્ટ ઑફ રેસ્ટ અપોન ધ વિન્ડ ઍન્ડ અનધર વુમન શેલ બૅર મી — થોડા સમય પછી હવામાં ઝૂલતા રહેવાની એક ક્ષણ, અને હું અન્ય સ્ત્રીનો ગર્ભ બની જઈશ!”

`ન હન્યતે હન્યમાને શરીરે’ સહુ જાણીએ છીએ અને છતાં સ્વજનના શરીરને ખોવાની ઘટના પીડાદાયક છે. આ પીડા મારા માટે પહેલી નથી. છેલ્લી પણ નથી જ.

સંજય સાથેનાં લગ્ન અને સત્યજીતનો જન્મ મારા માટે જિંદગીના એક તદ્દન નવા અધ્યાયની શરૂઆત હતી. પોણા બે વર્ષનો સત્યજીત ખુલ્લી બારી પાસે ઊભો હતો. હું એને સ્વેટર પહેરાવવાનો પ્રયત્ન કરતી હતી. એણે અચાનક ઝટકો માર્યો. પલંગ પર ચાલીને બારીમાંથી બહાર નીકળી ગયો. અમે કશું સમજી શકીએ એ પહેલાં સત્યજીત ત્રીજા માળેથી નીચે પડી ગયો. એની આંખોમાં જિંદગી છલકાતી હતી… મને મારા અસ્તિત્વનો અર્થ સાંપડયો હતો એ આંખોમાં. એ આંખો બંધ થઈ ગઈ. જે નાનકડા દેહને ચુમતા, છાતીએ લગાડતા મને અજબ પ્રકારનો સંતોષ અને સુખ મળતા હતા એ દેહ સાવ ઠંડો થઈ ગયો હતો. હૉસ્પિટલના પલંગ પર સૂતેલો એ નાનકડો દેહ મારો દીકરો હતો, પરંતુ એનો આત્મા ક્યાંક દૂર, કોઈક હવામાં ઝૂલતો હતો, બીજી સ્ત્રીનો ગર્ભ બનવા માટે…

મારા શરીરનો એક ભાગ કાપીને ફેંકી દીધો હોય એમ કશુંક ખૂટી ગયું મારા અસ્તિત્વમાં, ખૂટે છે આજે પણ. દર વર્ષે સત્યજીત મોટો થાય છે… મારી અંદર. કોઈના પંદર વર્ષના બાળકને જોઉં ત્યારે એમાં સત્યજીત દેખાઈ જ જાય છે. તથાગત ક્યારેક `ભાઈ’ વિશે પૂછે કે સત્યજીતની તસવીરો ઉથલાવું ત્યારે `મારા’ હાથમાંથી એ નીચે પડયો એ વાતનું ગિલ્ટ મને કોરી ખાય છે.

ક્યારેક રાત્રે આંખો ખૂલી જાય છે. નીચે પડતી વખતની ક્ષણે પડે કે વાગે ત્યારે એ સામાન્ય રીતે પાડતો હતો એમ, “મમ્માઆઆઆઆ….” એવી બૂમ પાડી હશે?? નીચે પડયા પછી તરત જ બેભાન થયો હશે? એને પીડા થઈ હશે? મનમાં કોઈ વિચાર આવ્યા હશે? આવા સવાલો મને સવાર સુધી ઊંઘવા નથી દેતા… અને છતાં, સત્યજીત નથી એ `સત્ય’ છે.

સત્યજીતને ખોયા પછી ધીમે ધીમે મેં સંજયને પણ ખોઈ દીધો. કોઈક કારણસર અમારી વચ્ચે એક વિચિત્ર પ્રકારનું અંતર ઊભું થતું ગયું. મૃત્યુ ફક્ત દેહનું જ થાય છે એવું નથી, લાગણીનું, વચનોનું, સંબંધનું મૃત્યુ થતાં પણ મેં જોયું છે. આપણી અંદર ચાલતો કોઈક શ્વાસ, જે આપણા સંબંધને જીવતો રાખે એ શ્વાસ… એ ધડકતી લાગણીઓ ધીમે ધીમે નિશ્ચેષ્ટ થવા લાગે અને સાવ નઃશબ્દ મૃત્યુ પામે એવું મેં જોયું છે. અગત્યની વાત એ છે કે આ મૃત્યુનું કોઈ પ્રમાણ કે પરિમાણ નથી હોતું. નિદાન થઈ શકે એવો કોઈ રોગ કે દવા પણ નથી હોતા! મનની અંદર ક્યાંક સાવ ઊંડે મરી ગયેલું કશુંક મહિનાઓ… વર્ષો સુધી ત્યાં જ પડયું રહે છે. એના અગ્નિસંસ્કાર નથી થતા, થઈ જ શકતા નથી.

આપણને જ્યારે સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. એક જ વિધિ બાકી રહે છે ત્યારે, એ મરી ગયેલા પદાર્થને ઊંચકીને જાતમાંથી બહાર ફેંકવાની અઘરી અને છેલ્લી વિધિ. માણસ જીવતો રહી જાય છે, પણ જીવવાનું કારણ મરી જાય છે. કોઈ માતમ વગર, શોક વગર, સગાંવહાલાંની ચહલપહલ વગર, સફેદ વસ્ત્રાોના દેખાડા, ગીતા કે ગરુડપુરાણ વગર તમારા અસ્તિત્વ સાથે જોડાયેલો એક અભિન્ન હિસ્સો અલગ થઈ જાય છે. તમે અસહાય, પામર ઊભા રહી જાવ છો… એને જોતા.

સત્યજીતના મૃત્યુ પછી તથાગતનો જન્મ. એક નવા ગર્ભની… નવા દેહની… નવા નામ અને ચહેરાની સાથે જીવાતી જિંદગી!

Stone

મુંબઈ છોડયું ત્યારે મારી ઉંમર પચીસ વર્ષની હતી. એક વિચિત્ર પ્રકારના આત્મવિશ્વાસ—કદાચ `ઇગો’માં મેં મુંબઈ છોડયું હતું, “ફરી ક્યારેય તમને નહીં મળું.” કહું હતું મેં, શફીને. એ પછીનાં સાતેક વર્ષ હું એમને મળી નહીં… ભૂલી ગઈ હતી એમ ના કહી શકું, પરંતુ એમને યાદ પણ નથી જ કર્યા!

એક દિવસ દર્શન જરીવાલાનો ફોન આવે છે, “શફીને હાર્ટઅટેક આવ્યો છે.”

“હૉસ્પિટલમાં છે?”

“ના, ગુજરી ગયા છે.”

“મારે આવવું છે… હું હમણાં જ નીકળું છું.”

“તું કોની પાસે આવીશ? કોને મળીશ? કોની સામે શોક પ્રગટ કરીશ?” આ ત્રણ સવાલો મારી અંદર ખળભળી ઊઠેલા એક આખાય સમયખંડને સ્થિર કરી દે છે…

એ આખો દિવસ ટેલિવિઝન પર હું એક એવા માણસને જોતી રહું છું, જેની આંખો મીંચાયેલી છે. જાંબુડી કલરની સીધી લીટીઓવાળું એ હાફ સ્લીવનું શર્ટ હું ઓળખું છું. એ ચહેરા પર સ્થિર થઈ ગયેલા વિચિત્ર સ્મિતને મેં ઘણી વાર જોયું છે. એમની આંખો બંધ છે. શરીર સીધું. હું જાણું છું કે એ ઊંઘતા નથી… એ મૃત્યુ પામ્યા છે! મારી બેબાક સચ્ચાઈમાં, ક્યારેક ઊભરાતી તોછડાઈમાં, મારા લેખનની સ્પષ્ટતામાં, મારી કહેવાતી સફળતાના પડઘાઓમાં, મારા કામના વખાણમાં, મારી ડિસિપ્લીનમાં, મારા ટાઇમ મેનેજમૅન્ટથી અંજાઈ જતા લોકોની આંખોમાં… મુંબઈના રસ્તાઓ ઉપર, ભારતીય વિદ્યાભવનનાં પગથિયાં ઉપર, મહેશ લંચ હોમના ટેબલ પર, વરલી સી-ફેસના દરિયાનાં ઊછળતાં મોજાંઓમાં મને એ મળી જાય છે અવારનવાર, “તુમ કુછ સમજતી નહીં.” કહે છે મને.

મારા તૂટતા-બંધાતા સંબંધોમાં અને મારી નીતાંત એકલતામાં… શફી છે, કાયમ રહેવાના છે.

મારી ઑફિસની દીવાલના સોફટબોર્ડ ઉપર સત્યજીત અને શફી બંને છે… એમનું સ્મિત જડાઈ ગયું છે એ દીવાલ પર… ક્યારેક મારા પિતાનું તો ક્યારેક મારી માનું તો ક્યારેક મારું પોતાનું સ્મિત પણ એ દીવાલ પર જડાઈ જવાનું છે એની મને ખબર છે — ખાતરી છે.

બીજાઓની મને ખબર નથી, પણ હું મારા ઈશ્વરનો આભાર માનું છું, એણે મને આટલાં બધાં મૃત્યુ આટલી નિકટથી જોવાની તક આપી છે. જિંદગીને ઘસાઈને તો સૌ પસાર થાય છે… થતા જ હશે, પણ હું મૃત્યુના હાથમાં હાથ લઈને ચાલી શકી છું, ચાલી રહી છું. મને મૃત્યુનો ભય નથી લાગતો — મૃત્યુ રોમેન્ટિક લાગે છે. મૃત્યુની કલ્પનામાત્ર એક `થ્રિલ’ આપે છે મને. કંઈક નવું, કંઈક સારું જ બનશે એવો દૃઢ વિશ્વાસછે મને…

Kaajal-closeup

હું કઠોપનિષદના નચિકેતાની જેમ સામેથી મૃત્યુનાં દ્વાર ખખડાવીશ, કારણ કે મને એનું સરનામું ખબર છે. હું એની સામે ઊભી રહીને આંખમાં આંખ નાખીને સ્મિત કરીશ, કારણ કે હું મૃત્યુને ઓળખું છું. અને મૃત્યુ પણ દરવાજો ખોલતાં જ મને ઓળખી જશે, કારણ કે અમે પહેલાં મળી ચૂક્યા છીએ, બે-ચાર વાર!


જો તમને આ પોસ્ટ ગમી હોય તો `આજનો ઈ-શબ્દ’ અંતર્ગત આવી બીજી અનેક પોસ્ટ જરૂર માણો અને અન્ય મિત્રોને પણ વંચાવો.
લીન્ક છે:
www.e-shabda.com/blog


[Hun Mrutyune Olakhun Chhun, by Kaajal Oza Vaidya, e-shabda blog posted on 29th September 2014]

14 comments

  • surendra ashar September 30, 2014 at 7:23 pm - Reply

    Jindagi ni sachchai janavati vato nu marm apna jivan ma utariye toy ghani chhe…hu pote 5 varas thi oral cancer survivor chhu pan jivan karyarat rakhel chhe…kajalben avij himat rakhi jivan jivo. And prabhu apar shakti arpe. shubhkamna

  • Nayan October 4, 2014 at 5:13 pm - Reply

    Waqt kyun kanto sa chubhta hai,
    Kabhi sochta Hun
    Hamne apne hatho se fishlne diya hoga
    Lakiro ne bhi use roka na tha
    To ab aankho se baheta hai

  • Neela Lakhani Varma October 4, 2014 at 5:45 pm - Reply

    Jivan ni vastvikata janavi ne svikarvi banne ma tafavat 6. Khub saras samjavyu 6.Thanks

  • Shailesh October 7, 2014 at 10:32 am - Reply

    આપની લેખની ની તાકાત ની સામે આપની દુનિયા કૌન મોટુ ? માલુમ નહી પણ ,જે હોય છે ગજબ. નમસતે

  • suhas jain October 7, 2014 at 11:07 am - Reply

    mem tamaru lakhelu vachu chu tyare tyare mari kalpna na sagar na moja uchadi ne mane kahe che its tru lekhika aap cho maja aave che aapna sabdo vachavani

    krishnayan

  • Hasmukh Patel October 7, 2014 at 11:07 am - Reply

    E shabda Aap ni person life biography vachan kariya bad Aap nani age ma aabh tuti bhade tetala dukho ek daughter, wife,MAA tareke sahan kariya,
    Aap ni badale biji Koi ladies hot to aabhghat kariyo hot .
    Kaajal ji…….. Aap ne and Aap ni shakati ne khub khub dhanyavad.
    Aap powerful iron lady .

  • sangeeta October 7, 2014 at 1:19 pm - Reply

    Speechless

  • kinnari Patadia October 7, 2014 at 7:05 pm - Reply

    jivan ni vastvikta samjava mate tnx kajalben tamari Vadodara ni last visit me miss Kari che pl ena Vishesh Jo apni pase kasu hoy to e shabd par muko topic heart to heart no hato pl

  • neha October 10, 2014 at 2:41 pm - Reply

    I am touched

  • C .Rajani October 11, 2014 at 4:00 pm - Reply

    bahuj sundar e-Shabda ! slowly u became what u are! I am sure you can bear LOSS of loved ones and never be afraid to look death in the eyes. Remain strong and frankly, no words are suitable to praise you! I wish I can see you in Amdavad,Rajkot or even Germany. All the best. Rajani

  • jitendramehta December 4, 2014 at 4:08 pm - Reply

    I am touched & speechless

  • Nayan October 2, 2016 at 4:19 pm - Reply

    સહ અનુભૂતિ
    દર્દનાક
    સુબહ કાલી હો ગયી
    અશ્ક કી નદી ખાલી હાે ગયી

  • Pranav October 2, 2016 at 9:22 pm - Reply

    Kajal, hamna j koi be me kahyu ke I wanna meet kajal oza….if possible..manage for me…one touch….ane aje ….Mali gyo tane….superb….tame mane nathi janta pan….god bless u

  • Sujata Ghadva October 16, 2016 at 3:54 pm - Reply

    શબ્દ નથી આ લેખ માટે સફળતા પાછળ ની વેદના

Leave a Reply to surendra ashar Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • ‘મધર ઇન્ડિયા’ : નાટ્યાત્મક અંતની સર્જનકથા – ઉર્વીશ કોઠારી
  • અપરિહાર્ય અને અનિવાર્ય મૃત્યુના દુહા—બળવંત જાની
  • E-Shabda Gujarati App
  • મારું સુખ—કાજલ ઓઝા વૈદ્ય
  • દરિયા ઉપરથી – ‘છેલ્લો કટોરો’ — મહાદેવ દેસાઈ

Recent Comments

  • રાહુલ on વાત યાદ આવે… —કાજલ ઓઝા વૈદ્ય
  • Palak on વાત યાદ આવે… —કાજલ ઓઝા વૈદ્ય
  • Jishnu Panchal on અશ્વિન મહેતા… ગમતા ‘ડોસલા’ની વિદાય ટાણે…
  • www.yantraidol.com on અશ્વિન મહેતા… ગમતા ‘ડોસલા’ની વિદાય ટાણે…
  • હરીશ દવે on શબ્દથી ઇ-શબ્દ સુધી – અપૂર્વ આશર

Categories

© 2017 e-Shabda. All Rights Reserved.